Monday, 13 May 2019

લાગણી

                        ༺༻

કોઈ તમને યાદ કરીને દિવસની
                         બે મિનિટ તમારા માટે કાઢે છે
તેની કદર કરજો મસેજ તો
                          એક બહાનું છે
બાકી તો દોસ્તી અને લાગણી માટે
                           આખુ જગત પણ નાનું છે....

                         ༺♥༻​​

Sunday, 5 May 2019

પાળિયા ના પ્રકાર

પાળિયા ના પ્રકાર :

ખાંભી:
કોતરકામ વગર બાંધવામાં આવેલ મૃત વ્યક્તિનું સ્મારક

થેસા:
પાળિયા નજીકના નાનાં પથ્થરો

ચાગીયો:
પત્થરોના ઢગલા

સુરાપુરા:
અન્યના જીવન માટે યુદ્ધમાં ખપી જનાર યોદ્ધાઓ

સુરધન :
આકસ્મિક મૃત્યુ, જેમ કે હત્યા, આત્મહત્યા, અકસ્માતની યાદમાં બાંધવામાં આવેલા તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે તેમાંના કેટલાકને સતીમાતા અથવા ઝુઝાર મસ્તિષ્ક વગરનાં યોદ્ધાઓ કહે છે.

યોદ્ધાઓના પાળિયા:
આ પ્રકારના સ્મારકો સૌથી સામાન્ય હોય છે જે મોટે ભાગે લડાઈના નાયકોની પૂજા કરતા સમુદાય અને લોકજાતિઓ સાથે સંકળાયેલ હોય છે.

તેઓ મર્યાદિત વિસ્તારમાં મોટી સંખ્યામાં મળી આવે છે અને રણ ખાંભી તરીકે ઓળખાય છે. તે યુદ્ધસ્થળ અથવા જ્યાં યોદ્ધા મૃત્યું પામ્યો હોય ત્યાં બાંધવામાં આવે છે. શરૂઆતમાં આ પાળિયા કોઈ સમુદાય, સ્ત્રી, પશુધન અથવા ધર્મને બચાવવાના સત્કાર્યોને સન્માનવા બાંધવામાં આવતા હતાં અને પછીથી તે યુદ્ધ સંબંધિત પરંપરા બની ગઈ.

આ સ્મારકો મોટે ભાગે યોદ્ધાને હથિયારો જેવા કે તલવાર, ગદા, ધનુષ્ય અને તીર અને પછીના પાળિયાઓમાં બંદૂકો સાથે પણ દર્શાવે છે. આ યોદ્ધાઓ વિવિધ પરિવહનો જેમ કે ઘોડા, ઊંટ, હાથી અને રથ પર હોય છે. ક્યારેક તે પાયદળ સાથે હોય છે. કેટલીક વખત રાજકિય ચિહ્નો લઈ જતાં અથવા યુદ્ધમાં નગારા વગાડતા લોકોના પાળિયા પણ દર્શાવવામાં આવે છે.

આ સ્મારકોનાં ઉદાહરણો ભુચર મોરીના પાળિયા અને સોમનાથ મંદિર નજીક ધર્મ રક્ષા કાજે ખુમારીથી પોતાના પ્રાણની આહુતિ આપી દેનાર હમીરજી ગોહિલ અને અન્ય નરબંકાઓના પાળિયાઓ છે.*

સતીના પાળિયા:
આ સ્મારકો મોટે ભાગે રાજવી પરિવારો સાથે સંકળાયેલા હોય છે, જે સતી થઈ હોય અથવા જૌહર કરીને મૃત્યુ પામી હોય તેવી સ્ત્રીઓને સમર્પિત હોય છે. તે લોકસાહિત્ય સાથે પણ સંબંધિત હોઈ શકે છે અને તેમની દેવી તરીકે પૂજા થાય છે.

આ સ્મારકો મોટે ભાગે જમણી બાજુ ૪૫ કે ૯૦ અંશના ખૂણે વળેલો આશિર્વાદ આપતો જમણો હાથ દર્શાવે છે. ક્યારેક આ પાળિયા પર હાથ અને અન્ય પ્રતિકો જેમ કે, મોર અને કમળ હોય છે. કેટલાક પાળિયામાં આશિર્વાદ આપતી અથવા નમસ્કાર મુદ્રામાં ઊભેલી સંપૂર્ણ સ્ત્રીની આકૃતિ હોય છે. કેટલાક સ્મારકોમાં એક હાથમાં કમંડળ અને બીજામાં જાપમાળા હોય એવાં સ્ત્રીના આકારો હોય છે. કેટલાક સ્મારકોમાં જ્વાળાઓમાં દાખલ થતી સ્ત્રી અને પોતાના પતિના શરીરને ખોળામાં લઈ બેઠેલી હોય તેવી સતી પ્રથા દર્શાવતી આકૃતિઓ પણ દર્શાવવામાં આવે છે.

આ સ્મારકોનાં ઉદાહરણમાં ભુચર મોરીના સુરજકુંવરબાના પાળિયાનો સમાવેશ થાય છે. આ પ્રકારના પાળિયા પાકિસ્તાનના સિંધ પ્રદેશ અને ભારતના રાજસ્થાન રાજ્યમાં પણ જોવા મળે છે.

ખલાસીઓના પાળિયા:
ગુજરાત લાંબો દરિયાઈ ઇતિહાસ ધરાવે છે. આ સ્મારકો તેમની સમુદ્ર સફર દરમિયાન મૃત્યુ પામેલાં ખલાસીઓની યાદ અપાવે છે. તેમના સ્મારકો પર ક્યારેક જહાજ દર્શાવવામાં આવે છે.

લોકસાહિત્યના પાળિયા:
અનેક સ્મારકો લોકસાહિત્ય સાથે સંકળાયેલ ધાર્મિક સંતો-ભક્તો, પ્રેમ કથાઓ, બલિદાન, મિત્રતા, વિરોધ, વગેરે માટે કરેલો દેહત્યાગ દર્શાવે છે. આ સ્મારકનું ઉદાહરણ ભાણવડ નજીક ભુતવડ પર આવેલો વીર માંગડા વાળાનો પાળિયો છે.

પ્રાણીઓના પાળિયા:
પ્રાણીઓ જેવા કે, ઘોડા, કૂતરાં અને ઊંટ દર્શાવતા પાળિયાઓ પણ બાંધવામાં આવ્યા હતા.

ક્ષેત્રપાળના પાળિયા:
આ પાળિયા ક્ષેત્રપાળ (ક્ષેત્રનું રક્ષણ કરતાં)ને સમર્પિત હોય છે, જે જમીનના દેવ છે. તે સ્મારક નથી પરંતુ લગભગ સરખો અહોભાવ ધરાવે છે. તેમને સામાન્ય રીતે ખેતરની નજીક અથવા ગામની બહાર મૂકવામાં આવે છે. કેટલીક કોમમાં પૂર્વજોની પૂજા ક્ષેત્રપાળ તરીકે થાય છે. તે જમીન અને પાકનું રક્ષણ કરે છે, તેમ માનવામાં આવે છે. આ પાળિયા પર સાપ અથવા કેટલીક વખત માત્ર આંખો રક્ષણના પ્રતીક તરીકે દર્શાવવામાં આવે છે.

રંજાડેલાનો હું રખેવાળ હતો, રખેવાળો એ રંજાડ્યો છે મને.
'નામચીન' એક સમયે હતો, હવે નામશેષ કર્યો છે મને.

"બિસ્માર છું બળવાન માંથી"

એક સમયે પોતાના જીવની ચિંતા કર્યા વગર જે વ્યક્તિએ રંજાડેલી ગાયો, અબળાની આબરૂ તથા માં ભોમ (ધરતી)ની રક્ષા કરવા ખાતર નિષ્ઠા પૂર્વક પોતાના પ્રાણની આહુતિ આપેલી હતી, એવાં મહાન રખેવાળ યોદ્ધાની ખાંભીઓની કેવી દશા હોય છે! એ આપણે ઘણી જગ્યાએ જોઈએ છીએ.
            એ રખેવાળોનું ઈતિહાસમાં અમર નામ છે એક સમયે તેમની પૂજા કરવામાં આવતી આજુબાજુના વિસ્તારમાં તેમનાં તથા તેમના પૂર્વજોનું માન-સન્માન હતું. આજે ઘણી જગ્યાએ તેમની ખાંભીઓ ઉખેડી ફગાવી દેવામાં આવી છે ચપટી સિંદુર પણ એમને નસીબ નથી. આવા મહાન પ્રતાપી પૂર્વજોના પાળિયાને આપણે ફક્ત પાષાણ (પથ્થર) સમજી બેઠા છીએ. એમના ઈતિહાસની આપણને ખબર નથી..
            અરે જેમણે પોતાના વંશ-વારસ, જમીન-ઝાયદાદની પરવા કર્યા વગર નિસ્વાર્થ ભાવે હિંમત પૂર્વક આપણી સંસ્કૃતિની રક્ષા કરીછે એવાં પાળિયાની આવી હાલત એ આપણી નબળાઈ છે. આ પાળિયા આપણું ગૌરવ છે.

           તમારા ગામ અથવા આજુબાજુના વિસ્તારમાં આવા બિસ્માર પાળિયા હોય, તો તેનાં સાચાં ઈતિહાસને જાણી ઈતિહાસની જાળવણી કરજો તેને ઉભા કરી સિંદુર જરૂર ચડાવજો, બની શકે તો વરસાદને તાપથી રક્ષણાત્મક થોડો છાંયડો કરજો બનતા પ્રયાસો કરજો.

સંસ્કૃતિ સાચવજો... ખુમારીભર્યા ખમીરવંતા અમર સંસ્કૃતિ રક્ષકોને ઘણી ખમ્મા.

Friday, 3 May 2019

માણસ નથી.

બે ચકલા ખેતરમાં ચણતા હતા

એક ચકલાએ બીજાને કહ્યું : એલા ભાગ જલદી, જો પેલી બાજુ કોઇ માણસ ઉભો છે.

બીજાએ ધ્યાનથી જોઈને કહ્યું : ચિંતા ન કર, ચાડીયો છે.

પહેલો : કેમ ખબર પડી  ?

બીજો : એના હાથમાં મોબાઇલ નથી

😂😂😂😂😂😂😂😂

વાંચનનું મહત્વ

એક ખેતરના ખૂણા પર મકાન બનાવીને એક કુટુંબ રહેતું હતું. માં-બાપ, દાદાજી, તેમનો પૌત્ર. માં-બાપ રોજે મજુરી ઉપર નીકળી જતા, અને ઘરે દાદાજી અને દસ વરસનો પૌત્ર જ રહેતા. દાદાજી રોજે સવારે વહેલા ઉઠીને બારી પાસે મુકેલી ખુરશી પર બેસીને પુસ્તકો વાંચતા રહેતા.

એક દિવસ પૌત્રએ પૂછ્યું: “દાદા...હું તમારી જેમ જ બુક્સ વાંચવાનો પ્રયત્ન કરું છું, પણ હું તેમાં કઈ સમજતો નથી. અને હું જે કઈ પણ સમજુ છું એ એક-બે દિવસમાં ભૂલી જાઉં છું. ઘણીવાર તો બુક બંધ કરું ને પાછળ બધું ભુલાઈ જાય છે. તમે પણ બધું ભૂલી જાઓ છો. તો પછી પુસ્તકો અને કહાનીઓ વાંચવાનો મતલબ શું?”

દાદાજી હસ્યા, અને ઉભા થઈને રસોડામાં ગયા અને લોટ ચાળવાનો ગંદો હવાલો લઈને આવ્યા. પોતાના પૌત્રને કહ્યું: “આ હવાલો લે, અને બહાર ખેતરમાં જતા પાણીના ધોરીયા માંથી હવાલો ભરીને લેતો આવ. મારે આ હવાલામાં સમાય એટલું પાણી જોઈએ છે.”

દીકરાને જેમ કહેલું તેમ કર્યું, પરંતુ હવાલો ભરીને દોડતો દાદાજી પાસે આવ્યો એ પહેલા જ હવાલાના કાણાઓ માંથી બધું પાણી લીક થઇ ગયું. દાદાજી હસ્યા અને કહ્યું: “બીજી વાર ભરતો આવ, પરંતુ આ વખતે ઝડપથી દોડીને આવજે.” દીકરો બીજી વાર ગયો, પણ ફરીથી તે દાદાજી પાસે પહોંચે એ પહેલા હવાલો ખાલી હતો! હાંફતા-હાંફતા તેણે દાદાજીને કહ્યું કે આ હવાલામાં તો પાણી ભરીને લાવવું અશક્ય લાગે છે. હું એક ગ્લાસમાં કે લોટામાં ભરતો આવું.
પરંતુ દાદાજી કહે: “ના. મારે આ હવાલામાં સમાય એટલું પાણી જ પીવું છે! મને લાગે છે તું સરખી કોશિશ નથી કરી રહ્યો.” છોકરો ફરી બહાર ગયો, અને પૂરી ઝડપથી દોડતો આવ્યો, પણ હવાલો ફરી ખાલી જ હતો! થાકીને જમીન પર બેસીને દાદાજીને તેણે કહ્યું: “દાદા...કહું છું ને...આ નકામું છે. ના ચાલે.”

“ઓહ... તો તને લાગે છે કે આ નકામું કામ છે?” દાદાજીએ કહ્યું, “-તું એકવાર હવાલા સામે તો જો.”

છોકરાએ હવાલાને જોયો અને પહેલીવાર તેણે જોયું કે હવાલો બદલાઈ ગયો હતો. તે જુના ગંદા હવાલા માંથી ધોવાયેલો, ચોખ્ખો, ચળકતો હવાલો બની ગયો હતો. તેના દરેક મેલ ધોવાઇ ગયા હતા.

દાદાજીએ હસીને કહ્યું: “બેટા...જયારે તમે પુસ્તકો વાંચો ત્યારે આવું થાય છે. તું કદાચ બધું સમજે નહી, કે બધું યાદ ન રહે, પરંતુ જયારે તમે વાંચો, ત્યારે તમે બદલાતા હો છો. અંદર અને બહાર પણ. કોઈ પણ કહાની કે કોઈ સારી વાત તમને અંદરથી થોડા ધોઈ નાખે છે, અને તમારો મેલ દુર કરે છે.”


....